WHO ની વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની વિવિધ માધ્યમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી
આ ઉજવણીમાં જિલ્લા કક્ષાએ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત ખાતે તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીનો તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટથી કેન્સર નિષ્ણાત ડોક્ટર દ્વારા પ્રેઝેન્ટેશન વડે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા દરેક અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ વ્યસનમુક્તિનાં શપથ લીધા હતા.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોરબી સીટી વિસ્તારમાં કોટપા-૨૦૦૩ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ યોજી કુલ ૨૬ કેસ કરીને કુલ રૂ. ૫૨૦૦/- જેટલા દંડની વસુલાત કરવામાં આવી હતી. ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/શહેરી આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર કક્ષાએ કુલ ૪૩૦૪ લોકો પાસેથી વ્યસનમુકિત અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને ૧૦૦૩ લોકોને જૂથ ચર્ચા દ્વારા તમાકુના વ્યસનથી થતા નુકસાન અને તેનાથી બચવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી થકી લોકોને તમાકુ મુક્ત/વ્યસન મુક્ત બનાવવાનો આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ તકે મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે. શ્રીવાસ્તવ દ્વારા જાહેર જનતાને વ્યસનમુક્ત રહીને સ્વસ્થ જીવન ગાળવા અનુરોધ કરવામાં આવ્યો છે
પરપ્રાંતિય કામદાર/ખેત શ્રમિકના પૂર્વ ઈતિહાસ અને નાગરિકતાનું પોલસ સ્ટેશન ખાતે વેરીફાઈ કરાવવું ફરજીયાત
પરપ્રાંતિય ભાડુઆત તથા ખેત શ્રમિક/ભાગિયાની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે તેવા તમામ આધાર પુરાવા (ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ વગેરે) ફરજીયાત મેળવી પોલીસ સ્ટેશન પાસે વેરીફાઈ કરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં આપવાની રહેશે.
કામે રાખેલ કર્મચારી/કારીગર/શ્રમિક/ખેત શ્રમિક/ભાગીયા/ઘરઘાટી/ચોકીદાર તથા મકાન ભાડે રાખનાર પરપ્રાંતિય વ્યક્તિના ઓળખકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવો, મુળ ક્યાંના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરીને આપવાની રહેશે. આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી આવેલા વ્યક્તિને મકાન ભાડા પેટે આપવામાં આવે ત્યારે મકાન માલીકનું નામ, રહેઠાણનું સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું નામ, સરનામું, ભાડે આપ્યાની તારીખ વગેરે વિગતો સહિતનું નિયત નમૂનાનું ફોર્મ ભરી સંબંધીત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.
કારખાના/ઔદ્યોગિક શ્રમિકો સિવાયના ભાડુઆત, ખેત શ્રમિક કે ભાગિયા માટે માંગ્યા મુજબની વિગતો રજીસ્ટર/બાયોડેટાની સીડી તૈયાર રાખવા તથા તે મુજબની માહિતી સીટીઝન પોર્ટલમાં (સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ) રજીસ્ટ્રેશન કરાવવી તથા તેની એક હાર્ડ કોપી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં દિન-૭ માં જમા કરાવવાની રહેશે.
આ ઉપરાંત મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક પર અથવા એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye લીંક પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, આ જાહેરનામાનો અમલ તા.૩૧/૦૭/૨૦૨૫ સુધી કરવાનો રહેશે.
મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો આવા સ્પા/મસાજ પાર્લરની આડમાં ગુનાહીત કૃત્યો કરી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે, તેથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા સ્પાના નિયમન અને નિયંત્રણ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા વિસ્તારમાં સ્પા /મસાજ પાર્લરોના માલીકો તેમજ આવા સ્પા /મસાજ પાર્લરોના સંચાલકોએ તેમા કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ્સ તથા રેકોર્ડીંગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરીયામાં ફરજિયાત રાખવાનું રહેશે. ત્રણ મહિના સુધીના સી.સી.ટીવી. રેકોડીંગની સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે આ માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઓફીસરે રજીસ્ટર નિભાવવાનું રહેશે.
આ રજીસ્ટરમાં સ્પા/મસાજ પાર્લર, એકમનું નામ, માલીક/સંચાલકનું નામ તથા સરનામું ટેલીફોન નંબર. સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગત (ફોટો સહિત). હાલનું સરનામું, મુળ વતનનું સરનામું, ફોન નંબર ( ઘર ) – ઓફીસ- મોબાઈલ નંબર. જો તેઓ વિદેશી હોય તો – પાસપોર્ટની વિગત (પાસ પોર્ટ /વિઝાની નકલ બીડવાની રહેશે.), ક્યા વિઝા પર ભારતમાં આવેલ છે તેની વિગત :- હાલનું સરનામું, ફોન નંબર ( ઘર ) – ઓફીસ- મોબાઈલ નંબર સહિતની વિગતો દર્શાવવાની રહેશે.
સ્પા/ મસાજ પાર્લર ચલાવનાર/સંચાલકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, કામ કરતા કર્મચારીઓનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત, પોલીસ સ્ટેશનના સહી સિકકા અને તારીખ, સ્પા/ મસાજપાર્લર ચલાવનાર/ સંચાલકની સહી/ કામ કરતા કર્મચારીની સહી / સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત રાખવાની રહેશે.
આ વિગત કોરા કાગળ પર લખાવવાની રહેશે. સંપૂર્ણ રીતે ભરીને સ્પા/મસાજ પાર્લર જે નામથી ચાલતા હોય તેના નામ સાથેની વિગત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. વિગત સંપૂર્ણ ભર્યા પછી તેની બે નકલ કાઢવાની રહેશે. બન્ને નકલ જેતે પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેની એક નકલ રીસીવ સહિ સિકકા કરી પરત આપશે જે સાંચવી રાખવાની રહેશે. સ્પા/ મસાજ પાર્લર ચલાવનારે તેનું ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ/આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ રજુ કરવાનું રહેશે.
આ જાહેરનામું તા.૩૧-૦૭-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે
હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકારશ્રી વિરુદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૦૬-૨૦૨૫ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.
આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને -સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને, સરકારશ્રીના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.
મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૦-૦૬-૨૦૨૫ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવાયો છે.
આ ઉપરાંત મનુષ્યો, શબો, આકૃતિઓ, પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની, ભેદભાવ અથવા ચેષ્ટા કરવાની, તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો/વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા કે ફેલાવો કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામું સરકારી નોકરીમાં કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશક્તો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય, સક્ષમ સતાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહિ.