
મોરબી જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવતી કામગીરી ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે.બે દિવસ પહેલા જી. રામજી યોજના અંતર્ગત યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ હવે યોજનાથી વધારે પત્રકારોની પસંદગીને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના મંત્રી ત્રિકમ છાંગા દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તથા ધારાસભ્ય દુર્લભજી દેથરિયા,જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ લોકશાહીની આત્માને ઝંઝોડે એવો સવાલ ઊભો થયો છે.
મળતી માહિતી મુજબ, આ પ્રેસ કોન્ફરન્સમાં અમુક માનિતા પત્રકારો ને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે મુદ્દાસર પ્રશ્નો પૂછતા,સત્ય આધારિત રિપોર્ટિંગ કરતા અનેક પત્રકારોને જાણી જોઈને દૂર રાખવામાં આવ્યા હતા
આ ઘટના અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે શું હવે ભાજપના નેતાઓને સવાલ પૂછનારા પત્રકારોથી ડર લાગે છે?
શું લોકશાહી વ્યવસ્થામાં પત્રકાર બનવા માટે સત્તાની પ્રશંસા કરવી ફરજિયાત બની ગઈ છે? શું સરકારી યોજનાઓ અંગે પ્રશ્ન પૂછવાનો હક દરેક મીડિયાને નથી?જો બધું પારદર્શક છે, તો પછી અસહજ સવાલોથી બચવાની જરૂર શા માટે?
ખાસ નોંધનીય બાબત એ છે કે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ છેલ્લા લાંબા સમયથી વિવિધ વિવાદોને લઈને જાહેર ચર્ચામાં રહ્યા છે. આવી પરિસ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વિવાદોને લઈને કોઈ તીખો કે અસહજ સવાલ ન થાય તે માટે જ ‘પસંદગીના પત્રકારો’ને બોલાવવાની નીતિ અપનાવવામાં આવી.
પ્રેસ કોન્ફરન્સ જો ખરેખર જાહેર હિત અને જનકલ્યાણ માટે હોય, તો તેમાં તમામ મીડિયાને આમંત્રણ આપવું એ લોકશાહીનો મૂળભૂત સિદ્ધાંત છે. પરંતુ મોરબી જિલ્લા ભાજપ દ્વારા અપનાવવામાં આવતી આ રીત પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યો પર સીધો પ્રશ્નચિહ્ન ઉભો કરે છે.
હવે સૌથી મોટો અને તીખો સવાલ એ છે કે—શું ભાજપ સાચા પ્રશ્નોથી બચી રહ્યું છે?
શું સત્તાધારીઓ જવાબદારીથી બચવા માટે ‘પસંદગીનું મીડિયા’ તૈયાર કરી રહ્યા છે? અને શું આ વલણ ભવિષ્યમાં લોકશાહીના અવાજને દબાવવાની દિશામાં એક ખતરનાક સંકેત નથી?
આ સમગ્ર મામલે હવે મોરબી જિલ્લા ભાજપ શું જવાબ આપે છે તેની પર સૌની નજર મંડાયેલી છે. કારણ કે મૌન પણ ઘણી વખત સ્વીકાર સમાન હોય છે.


Leave Your Comment Here