
હળવદ – ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખવા અને વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી જુના અમરાપર શાળાના પટાંગણમાં દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય “રંગોળી સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આપણી પરંપરાઓ સાથે જોડવાનો અને તેમનામાં રહેલી કલાત્મક પ્રતિભાને એક મંચ પૂરું પાડવાનો હતો.
આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાનું મેદાન વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ અને રંગોના સુભગ સમન્વયથી જીવંત બની ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓએ પરંપરાગત, સામાજિક સંદેશા આધારિત અને આધુનિક એમ વિવિધ પ્રકારની મનમોહક રંગોળીઓ બનાવી પોતાની આગવી કલાનું પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી વાઘેલા અમરશીભાઈ એ જણાવ્યું કે, “રંગોળી એ માત્ર કલા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ટીમવર્ક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય છે. તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને કલા ખરેખર પ્રશંસનીય છે.”
સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના શિક્ષકગણ અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.



Leave Your Comment Here